ગુજરાતમાં શનિવારે કોરોનાને કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 1000ને પાર થઇ ગઇ છે. 22 માર્ચે ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું હતું. 69 દિવસ પછી આજે આંકડો 1007 થઈ ગયો છે. કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સામે મૃત્યુનો દર જોઇએ તો ગુજરાતમાં તે હજુ ચિંતાજનક રીતે 6 ટકા કરતાં વધુ છે અને દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીએ આ દર ખૂબ ઊંચો છે. સૌથી વધુ 2200 મૃત્યુના કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં પણ આ દર 3.37 ટકા છે.
શનિવારે અમદાવાદમાંથી સૌથી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા
શનિવારે રાજ્યમાં વધુ 27 દર્દીઓને કોરોના ભરખી ગયો અને કુલ મૃતકાંક 1007 પર પહોંચ્યો છે. જે પૈકી અમદાવાદમાં 24, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 વ્યક્તિના મોત થયાં છે. ગુજરાતમાં શનિવારે 412 નવા કેસ નોંધાયા હતાં અને તે સાથે કુલ આંકડો હવે 16,356 પર પહોંચ્યો છે. ગુજરાત સરકારનું હાલ મહત્તમ ધ્યાન મૃત્યુના આંકડા કરતાં સાજા થઇને ઘરે જતાં દર્દીઓ તરફ વધુ આકર્ષાયેલું છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ 56.44 ટકા છે જે અન્ય મોટા રાજ્યોની તુલનાએ સારો કહી શકાય, તદુપરાંત દેશના કુલ સરેરાશ રીકવરી રેટ 39.20ની સરખામણીએ તે સારો કહી શકાય. શનિવારે રાજ્યમાંથી કુલ 621 દર્દીઓ સાજાં થયાં છે. સૌથી વધુ અમદાવાદમાં 518 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં છે.
હવે વડોદરામાં પણ 1000થી વધુ દર્દી
| શહેર | નવા કેસ | કુલ દર્દી | નવા સાજા |
| અમદાવાદ | 284 | 11881 | 518 |
| સુરત | 57 | 1646 | 30 |
| વડોદરા | 28 | 1020 | 29 |
| ગાંધીનગર | 12 | 261 | 2 |
| અરવલ્લી | 6 | 109 | 2 |
| બનાસકાંઠા | 3 | 107 | 4 |
| રાજકોટ | 3 | 108 | 1 |
| પંચમહાલ | 3 | 85 | 0 |
| સાબરકાંઠા | 3 | 56 | 10 |
| આણંદ | 2 | 99 | 4 |
| પાટણ | 2 | 78 | 1 |
| જામનગર | 2 | 55 | 2 |
| છોટાઉદેપુર | 2 | 33 | 1 |
એક દર્દીની સારવારનો ખર્ચ રૂ.3થી 4 લાખ
કોરોનાના દર્દીને દાખલ કર્યા પછી આઠ-દસ દિવસની સારવારમાં આઠ-આઠ કલાકના અંતરે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, દિવસમાં બે વાર મેડિકલ ઓફિસર, એકવાર સ્પેશિયલિસ્ટ, બે વાર હાઉસકીપિંગ, ભોજન, ચા-કોફી સર્વિસ વગેરેની જરૂર પડે છે. આ દરમિયાન દસથી બાર PPE કીટ વપરાય છે, જેની કિંમત રૂ. 1500 ગણીએ તો પ્રતિદિન રૂ.15000થી 18000નો ખર્ચ થાય છે. આ ઉપરાંત દર બે દિવસે લોહીના વિવિધ ટેસ્ટ એક્સ-રે, સીટી સ્કેન, જરૂર પડ્યે વેન્ટિલેટર વગેરેનો ખર્ચ અંદાજે રૂ. એક લાખ પર પહોંચે છે. નર્સિંગ હોમનો ચાર્જ- સ્પેશિયલ રૂમના પ્રતિ દિવસના રૂ.3થી 10 હજાર સુધી તથા વેન્ટિલેટર, બાય પેપના રોજના ખર્ચ ઉપરાંત દવા અને અન્ય કન્ઝ્યુમેબલનું મૂલ્ય રૂ. 3થી 4 લાખ થાય છે. હાલ ગુજરાત સરકારે કોરોના દર્દીઓ માટે કુલ 43,400થી વધુ બેડની વ્યવસ્થા કરી છે, જે તમામને મફત સારવાર મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment