આજે રામ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન છે. અયોધ્યાથી રામેશ્વરમ સુધી રામ વનગમન પથ છે. જ્યાં-જ્યાંથી રામ વનવાસ દરમિયાન પસાર થયાં, ચિત્રકૂટથી રામેશ્વરમ સુધી ભવ્ય અને પૌરાણિક મંદિરોની સંપૂર્ણ શ્રુંખલા છે. પરંતુ, છેલ્લાં 500 વર્ષથી અયોધ્યામાં જ રામજીનું ભવ્ય મંદિર બન્યું નહોતું. રામ મંદિરના નિર્માણથી હવે અહીં પણ રામજીનું એક ભવ્ય મંદિર બનશે. જોકે, રામના વનગમન પથને લઇને ઇતિહાસકારોમાં થોડો ભેદ છે પરંતુ બધાના નકશામાં પ્રયાગરાજ, ચિત્રકૂટ, પંચવટી, કિષ્કિંધા અને રામેશ્વરમ તો આવે જ છે. વિવિધ રિસર્ચ પ્રમાણે શ્રીરામ વનવાસ સમયે લગભગ 200 જગ્યાએ રોકાયા હતાં. તેમાંથી 17 જગ્યાએ કૉરિડૉર બનાવવાની યોજના છે.
આ શ્રીરામ વનગમન પથની ખાસ જગ્યાઓ છેઃ-
અયોધ્યાથી પ્રસ્થાન કર્યા બાદ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા તમસા નદીના ઘાટ પર પહોંચ્યાં હતાં. અહીં હોડી દ્વારા નદી પાસ કરી અને શ્રૃંગવેરપુર પહોંચ્યાં હતાં. આ જગ્યાએ કેવટનો પ્રસંગ બન્યો હતો. ત્યાર બાદ કુરઈ, પ્રયાગ, ચિત્રકૂટ, સતના, દંડકારણ્ય, પંચવટી પહોંચ્યાં. પંચવટી નાસિક પાસે સ્થિત છે. અહીં લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું હતું. ત્યાર પછી રાવણે સીતાનું હરણ કર્યું.
સીતા હરણ પછી શ્રીરામ અને લક્ષ્મ સીતાની શોધમાં પર્ણશાલા, તુંદભદ્ર, શબરીનો આશ્રમ, ઋૃષ્યમુક પર્વત પહોંચ્યાં હતાં. આ પર્વત ક્ષેત્રમાં શ્રીરામ-લક્ષ્મણની મુલાકાત હનુમાનજી સાથે થઇ હતી. હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવી હતી. શ્રીરામએ વાલીનો વધ કર્યો હતો. ત્યાર પછી સીતાની શોધમાં શ્રીરામ વાનર સેના સાથે કોડીકરઈથી રામેશ્વરમ તરફ આગળ વધ્યા હતાં. રામેશ્વરમમાં લંકા વિજય માટે શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાર પછી ધનુષકોડીમાં લંકા સુધી પહોંચવા માટે દરિયા ઉપર સેતુનું નિર્માણ થયું. રામસેતુથી શ્રીરામ શ્રીલંકા પહોંચ્યાં હતાં. અહીં રાવણનો વધ કર્યો અને સીતાને છોડાવ્યાં હતાં. ત્યાર પછી પુષ્પક વિમાન દ્વારા શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતાં.
અયોધ્યામાં શ્રીરામજીના બાળ સ્વરૂપનું ભવ્ય મંદિર બનશેઃ-
અયોધ્યામાં શ્રીરામજીના બાળ સ્વરૂપનું ભવ્ય મંદિર બનશે. તેનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટના રોજ એટલે આજે થવા જઇ રહ્યું છે. અયોધ્યા સિવાય વનગમન પથમાં પણ શ્રીરામના અનેક વિશાળ મંદિર બનેલાં છે. જાણો વનગમન પથના ખાસ મંદિરો વિશે....

ચિત્રકૂટઃ-
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સાથે શ્રીરામનો ખૂબ જ ખાસ સંબંધ છે. વનવાસ સમયે આ ક્ષેત્રમાં શ્રીરામ અને ભરતનો મિલાપ થયો હતો. અહીં એક જાનકી કુંડ પણ છે. એવું માનવામાં આવે છે કે, આ કુંડમાં સીતાજી સ્નાન કરતાં હતાં. અહીં એક સ્ફટિકની શિલા પણ છે, જેના ઉપર પગના નિશાન છે. પગના આ નિશાન સીતાજીના હોવાનું માનવામાં આવે છે. અહીં અત્રિ ઋષિ અને અનસૂઇયાનો આશ્રમ પણ હતો. ચિત્રકૂટના રામઘાટ પર શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજીએ ગોસ્વામી તુલસીદાસને દર્શન આપ્યાં હતાં.
પંચવટીઃ-
મહારાષ્ટ્રમાં નાસિક પાસે પંચવટી સ્થિત છે. અહીં ગોદાવરી નદી સ્થિત છે. રાવણે સીતાજીનું હરણ પંચવટી વન ક્ષેત્રમાં જ કર્યું હતું. નાસિકમાં બાર જ્યોતિર્લિંગમાંથી એક ત્ર્યંબકેશ્વર સ્થિત છે. ત્રેતાયુગમાં પંચવટી વન ક્ષેત્રને દંડકવન પણ કહેવામાં આવતું હતું. આ ક્ષેત્રમાં તે કાળ સાથે જોડાયેલી અનેક પ્રતિમાઓ છે, જેથી અહીં આવતાં લોકોને પંચવટી ક્ષેત્રનું મહત્ત્વ સમજાઇ શકે.

ત્રૃષ્યમૂક પર્વતઃ-
આ પર્વત ક્ષેત્રને કિષ્કિંધા અને હમ્પીના નામે પણ ઓળખવામાં આવે છે. આ જગ્યા કર્ણાટકમાં સ્થિત છે. તેને યૂનેષ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અહીં શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજીના મંદિર છે. આ ક્ષેત્રમાં હનુમાનજી અને શ્રીરામની મુલાકાત થઇ હતી. સુગ્રીવ સાથે મિત્રતા પછી રામજીએ વાલીનો વધ કર્યો હતો. અહીં પંપા સરોવર છે. જેના અંગે માન્યતા છે કે, તેને બ્રહ્માજીએ બનાવ્યો હતો. અહીં વાલી ગુફા પણ છે. આ ક્ષેત્રમાં હનુમાનજીનું જન્મ સ્થાન પણ છે.

રામેશ્વરમઃ-
દક્ષિણ ભારતમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થિત છે. ત્રેતાયુગમાં અહીં શ્રીરામજીએ લંકા વિજયની કામના સાથે શિવલિંગ બનાવ્યું હતું અને પૂજા કરી હતી. અહીં રામેશ્વરમ જ્યોતિર્લિંગનું ભવ્ય મંદિર છે. આ મંદિર દરિયા કિનારે સ્થિત છે. મંદિરમાં કુંડ પણ છે, પરંતુ તેનું પાણી ખારું નહીં પરંતુ મીઠું જ રહે છે. માન્યતા છે કે, શ્રીરામજીએ બાણ દ્વારા આ કુંડનું નિર્માણ કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment