પાટડી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે નર્સ બહેનો રશ્મિબેન પ્રફુલભાઈ દવે અને રીટાબેન અશ્વિનબનાઇ ગામીતિ પોતાના વ્હાલસોયા માસૂમ બાળકોને પતિ પાસે મૂકીને 15 દિવસ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં કોરાના વોર્ડમાં જીવના જોખમે ફરજ બજાવી પાટડી પરત આવતા બાપા સિતારામ ગૃપના યુવાનો અને નગરજનો દ્વારા એમનું ફુલહાર અને શાલ ઓઢાડવાની સાથે પુષ્પવર્ષાથી અને 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના ગગનભેદી નારાથી તેમનું અનોખી રીતે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. એમાં 6 વર્ષના માસૂમ આર્યને જ્યારે પોતાની વ્હાલસોયી માતા સહિત બંને નર્સ બહેનોનું આરતી ઉતારીને સ્વાગત કરતા હાજર સૌની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા.
પાટડી હોસ્પિટલમાં ફરજ બજાવતા પરિચારિકા બહેનો રશ્મિબેન પ્રફુલભાઈ દવે અને રીટાબેન અશ્વિનભાઇ ગામીતિને વર્તમાનમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં કોરાના આઇસોલેશન વોર્ડમાં 15 દિવસ માટે ફરજ સોંપવામાં આવી હતી.કોરોના વોરીયર્સ તરીકે સેવા ભાવના અને ફરજના ભાગ રૂપે મળેલ જવાબદારીને પૂર્ણ નિષ્ઠા અને કર્તવ્ય સાથે નિભાવીને આજરોજ પાટડી હોસ્પિટલમાં પરત આવતા, પાટડી હોસ્પિટલના ડો.શ્યામલાલ રામ સહિતના આરોગ્ય વિભાગના તમામ સ્ટાફ તથા પાટડી નગરના રાજકીય આગેવાનોમાં જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ચેતન શેઠ, રશ્મિભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ સુરેખાબેન પટેલ, મીનાબેન દેસાઇ સહિતના નગરજનોએ ઉમળકા ભેર બંને કોરોના વોરિયર્સ નર્સ બહેનોનું પુષ્પવર્ષા સાથે શાલ ઓઢાડી અભિવાદન અને સન્માન કર્યુ હતુ અને "ભારત માતાની જય" અને "વંદે માતરમ"ના નારા સાથે હોસ્પિટલનું મેદાન ગુંજી ઉઠ્યુ હતુ.પાટડીના નગરજનો દ્વારા મળેલા અભૂતપૂર્વ સ્વાગત અને સન્માન મળતા બંને નર્સ બહેનો ભાવવિભોર થઈ ગયા હતા.
દિવ્યભાસ્કરને ખાસ મુલાકાત આપતા પાટડીની બંને કોરોના વોરિયર્સ નર્સ બહેનોએ જણાવ્યું કે, આ સન્માનથી એક અનેરો આત્મવિશ્વાસ અને સંતોષ મળ્યોં છે. અને ભવિષ્યમાં પણ જરૂર પડ્યે 'કોરોના વોરિયર્સ' તરીકે ફરજ બજાવવા તત્પરતા વ્યક્ત કરી હતી.પોતાના ફરજ દરમ્યાનના અનુભવો કહેતા તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા કોર્પોરેટ હોસ્પિટલ જેવી સગવડતા અને સુસજ્જતા સાથેની જે સેવાઓ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે તેમજ કોરોના વોરિયર્સ સ્ટાફ માટે જરૂરી કીટ સાથે સલામતીની વ્યવસ્થાની બાબત ખરેખર આપણા ગુજરાતના ગૌરવ અને અસ્મિતાના પ્રતીક સમાન છે. સૌથી અગત્યની બાબત એ રહી કે, જ્યારે દર્દીઓ આવતા ત્યારે કોરોના પોઝિટિવથી એકદમ વિહવળ અને ભયભીત થઈ જતા હતા. પરંતુ જ્યારે સ્વસ્થ થઈને વિદાય થતા ત્યારે જે રીતે કોરોના વોરિયર્સનો લાગણીસભર આભાર માનતા અને હર્ષના આંસુ સાથે પોતાને નવું જીવન મળ્યાનો યશ આપતા તે લાગણીને અમારા માટે શબ્દોમાં વ્યક્ત કરવા અસંભવ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment